વિજયભાઈ રૂપાણી: એક સાદગીપૂર્ણ વ્યક્તિત્વ
હું મારા રેડિયો શોના એક ઇન્ટરવ્યૂ માટે વિજયભાઈ રૂપાણી સાહેબ ની ઓફિસમાં તેમને મળ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હોવા છતાં, તેમણે મને સમય ફાળવ્યો અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથેની મુલાકાત દરમિયાન મને એવું લાગ્યું જ નહીં કે હું રાજ્યના એક મોટા નેતાને મળી રહ્યો છું. તેમણે મુખ્યમંત્રી તરીકેની કોઈ પણ પ્રકારની ઠઠબાઠને બાજુ પર મૂકીને એક સામાન્ય વ્યક્તિની જેમ મારી સાથે વાતચીત કરી. તેમની સરળતા અને સહજ સ્વભાવ ખરેખર પ્રભાવિત કરનારા હતા.
વિજયભાઈ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ જાણીતા અને લોકપ્રિય છે. કાલે તેમના વિશે સાંભળેલા સમાચારથી દરેકને આઘાત લાગ્યો છે. મારા પર તેમની સાદગીપૂર્ણ વ્યક્તિત્વની છાપ કાયમ રહેશે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કાર્યકુશળતા અને મળતાવડા સ્વભાવથી દરેક વ્યક્તિ પર પોતાની આગવી છાપ છોડી છે.
તેમની સરળતા અને મળતાવડા સ્વભાવની મારા પર ઊંડી અસર થઈ. આવા સરળ અને સૌમ્ય વ્યક્તિત્વને મળવું એક યાદગાર અનુભવ હતો. અમદાવાદ માં ઘટેલી પ્લેનક્રેશ ની ઘટના માં તેમનું નામ આવવું તે આઘાત જનક છે. પ્રભુ ને ગમ્યું તે ખરું. તેમની આત્માને શાંતિ મળે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. ગુજરાતના રાજકારણમાં તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.

