પળવારમાં જિંદગી કેવો અણધાર્યો વળાંક લે છે, તેનો કોઈને સપનામાં પણ ખ્યાલ નથી હોતો. આજે અમદાવાદમાં બનેલી કરુણ ઘટનાએ દરેકને હતપ્રભ કરી નાખ્યા છે. આવું કેમ બની શકે તેવો સવાલ દરેકના મનમાં ઘમરોળી રહ્યો છે. હમણાં જ તો પ્લેને ઉડાન ભરી હતી, બધું તપાસ્યા પછી જ તે આકાશમાં ગયું હતું, અને અચાનક એવું તે શું થયું કે થોડે દૂર જઈને તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું?
આવી ઘટનાઓ આપણને જીવનની અનિશ્ચિતતાનો અહેસાસ કરાવે છે. જેમને આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે, તેમની ખોટ કોઈ પણ રીતે પૂરી કરી શકાય તેમ નથી. સમય ભલે ઘા રુઝાવી દે, પણ આ યાદો અને આ પીડા હંમેશા માટે હૃદયમાં કોતરાઈ રહેશે.
આપણે ફક્ત એ જ પ્રાર્થના કરી શકીએ કે આ દુર્ઘટનામાં વિદાય લીધેલી આત્માઓને શાંતિ મળે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખને સહન કરવાની અને આ કપરા સંજોગોમાંથી બહાર આવવાની શક્તિ અને હિંમત આપે. આવા સમયે એકબીજાનો સહારો બનવું અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવી એ જ માનવતા છે. આશા રાખીએ કે ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
